मैं योगेश जाधव (उच्च माध्यमिक शिक्षक, लेखक, कवि) अपने वेबपेज DNYAN SAGAR में आपका स्वागत करता हूं|

વિશ્વ શાંતિની ગુરુકિલ્લી

 વિશ્વ શાંતિની ગુરુકિલ્લી :

                     બાળધડતર થકી વિશ્વશાંતિ ? કોઇને આશ્વર્ય થાય પણ મને આ બાબતે કોઇ શંકા નથી. બાળકો ખૂબ જ પ્રભાવક્ષમ હોય છે. તેઓ અનુભવથી શીખે છે બાળપણમાં પ્રેમ પામે તો તેઓ પ્રેમ શીખે છે. બાળપણમાં હિંસાનો અનુભવ કરે તો તેઓ હિંસા શીખે છે. બાળપણમાં બાળક જે પામે તે સવાયુ થઇ સમાજને પાછું મળે છે. બચપણમાં વવાએલ પ્રેમ કે હિંસાનાં બી વટવૃક્ષ બની સમાજને પ્રેરે કે પીડે છે. ગાંધીજીનો જ દાખલો લઇએ. નોકરાણી રંભા પાસે બચપણમાં રામનામ શીખ્યા, જે છેલ્લા શ્વાસ સુધી સાથે રહ્યું. કઠિન વ્રતધારી માતા પાસેથી શીખેલા ઉપવાસનો વિનિયોગ આઝાદીના આંદોલનમાં સતત કર્યો. બચપણમાં જોએલી સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની ફિલ્મે તેમને સત્યના પૂજારી બનાવ્યા. પરિણામે કડામાંથી સોનુ ચોર્યા પછી પણ પિતા પાસે કબૂલાત કરે છે. પિતા હરફ સુધ્ધા ઉચ્ચારતા નથી. માત્ર આંખમાંથી અશ્રુબિંદુ ટપકે છે. તેનાથી ભિંજાઇ મોહનદાસ અહિંસાનો પદાર્થપાઠ શીખે છે પરિણામે આવડા મોટા બ્રિટીશ રાજ સામે અહિંસાના હથિયારથી લડે છે. અને વિશ્વને અહિંસાની તાકાતનો પરિચય કરાવે છે. ગાંધીજી પાસે સત્ય અને અહિંસા સિવાયના વિકલ્પો ન હતા. કારણ કે બચપણમાં શીખેલુ આસાનીથી ભૂસાતુ નથી.જે ગાંધીજી માટે સાચુ છે તે આપણા સૌ માટે સાચુ છે. આજે આપણે જે કંઇ છીએ તે બચપણમાં નકકી થઇ ગયું હોય છે. બાળકને થપ્પડ મારી ટીવી બંધ કરાવીએ ત્યારે બાળક શીખે છે કે હિંસાથી ધાર્યુ કરાવી શકાય છે. કોમી તોફાનો, સમાજમાં વિવિધ સ્વરૂપે જોવા મળતી હિંસા, યુધ્ધ તથા ત્રાસવાદ એ આપણા ઘરો અને શાળાઓમાં બાળકો સાથે આચરાતી હિંસાનું વિસ્તૃત સ્વરૂપ છે. બાળકો હિંસાનો ભોગ બને અને આપણો સમાજ હિંસામુક્ત રહે તે શકય નથી.
             બાળધડતર એવું ક્ષેત્ર છે જેમાં યોગદાન આપી સામાન્ય ગણાતો દરેક સંવેદનશીલ વ્યકિત હિંસા અને ત્રાસવાદ સામેની લડાઇમાં સામેલ થઇ પોતાની રીતે પ્રદાન કરી શકે. બાળહિંસાનાં કારણો અને આજના સમાજ ઉપર પડી રહેલાં ઊંડા દૂરોગામી પરિણામોની ચર્ચા કરી આપણે બધા સાથે મળી ત્રાસવાદ સહિત સમાજમાં વ્યાપ્ત હિંસા સામેની લડાઇમાં શું કરી શકીએ તેની વાત કરીએ. યાદ રહે કે આપણામાંથી લગભગ દરેક વ્યકિત બચપણમાં હિંસાનો ભોગ બની હશે અને છતાં લગભગ આપણે દરેક, બાળકો સાથે સ્થૂળ-સૂક્ષ્મ હિંસા આચરીએ જ છીએ.

આપણે ત્યાં પટાવાળાથી માંડી પાયલોટ થવા માટે તાલીમ જરૂરી ગણાય છે. પરંતુ માતા-પિતા થવા માટે કોઇ તાલીમની જરૂર જણાતી નથી. આપણે એવું માનીએ છીએ કે બાળકો નાસમજ છે. તેઓમાં શિસ્ત આવે, તેમનો વિકાસ થાય, તેઓ જીવનમાં આગળ વધે તે માટે તેની સાથે સખત થવું પડે. એમાં કોઇ શંકાને સ્થાન નથી કે કડવી દવા તો માબાપે જ પીવડાવવાની હોય છે. પણ તે માટે સૂક્ષ્મ-સ્થૂળ હિંસાની હરગીઝ જરૂર નથી. બાળકના ભલા માટે ખડા રહેવા માટે માબાપે સજજતા કેળવવી પડે. તે કેળવાય તો હિંસાની જરૂર રહેશે નહિ.
બાળકો નિર્બળ હોવાથી હિંસાનો ભોગ સવિશેષ બને છે. તેઓ શારિરીક-માનસિક રીતે હિંસાનો સામનો કરવા સક્ષમ હોતાં નથી. આથી જ તો જે ભૂલ માટે આપણે પુખ્ત વ્યકિતને મારતા નથી, તે જ ભૂલ માટે બાળકને મેથીપાક મળે છે. એટલે જ તો શિસ્ત માટે શાળામાં હિંસાનો આશરો લેવામાં આવે છે, પણ કોલેજોમાં તેમ કરવામાં આવતું નથી. આપણી ચિંતાઓ, તાણ, સમસ્યાઓ, તકલીફો અને મુશ્કેલીઓની દાઝ ઉતારવા બાળકો સૌથી સોફટ ટાર્ગેટ છે. ઓફીસમાં કંટાળેલો પિતા કે પતિથી ત્રાસેલી માતા બાળકને ઢીબી નાખે છે.
આવું એટલા માટે થાય છે કે બાળકો સાથે આચરાતી હિંસાનાં દૂરોગામી પરિણામોથી આપણે અજાણ હોઇએ છીએ. આપણે તો એમ જ માનીએ છીએ હિંસાથી સરવાળે તો બાળકને જ ફાયદો થાય છે, તે શિસ્તબધ્ધ બને છે અને વિકાસ કરે છે. હિંસાનો ભોગ બનતું બાળક ડરપોક થાય છે, જૂઠ્ઠુ બોલતાં અને ખોટું આચરતાં શીખે છે. આપણે નિર્ભિક, સત્યનિષ્ઠ અને પ્રમાણિક નાગરિકો ઇચ્છીએ છીએ. પણ હિંસાના માધ્યમથી અપ્રમાણિકતા, ડર અને અસત્યના પાઠ શીખવીએ છીએ, તેનાં બીજ રોપીએ છીએ. પછી ભ્રષ્ટાચાર આપણી સામેની વિકરાળ સમસ્યા જ હોય ને ?
             હિંસાનો ભોગ બનનાર બાળક ધણીવાર બળવાખોર થાય છે, પણ સત્ય માટે લડનાર નહિ, સત્યની સામે ઊભુ થનાર. કુછંદે ચઢેલા સ્વચ્છંદી યુવાનોની સમસ્યા બાળપણમાં અનુભવેલી હિંસાનાં પરિણામે જન્મેલી બળવાની ભાવનામાંથી પ્રગટેલી હોય છે. ગુનાખોરી છેવટે તો સમાજનાં નિયત ધોરણો અને મૂલ્યો સામેનો બળવો જ હોય છે. બાળકને હિંસાના માધ્યમથી કશુંક કરવા કે ન કરવા મજબૂર કરીએ, ત્યારે આપણે તેને શીખવીએ છીએ કે હિંસાથી ધાર્યુ કરાવી શકાય છે. તેથી જ તો યુવાન થઇ તે કોલેજની ઇમારતમાં તોડફોડ કરી, જાહેર સંપત્તિને નુકશાન કરી પોતાનું ધાર્યું કરાવે છે. ત્રાસવાદ પણ આ જ વિચારબીજનું વટવૃક્ષ છે અને યુધ્ધ તેનો વિશ્વવ્યાપી ચહેરો. ગીજુભાઇ બધેકા કહે છે. “ એક મા-બાપ જો પોતાના બાળક પ્રત્યેના વ્યવહારમાં ભૂલ કરે તો એક હજાર શિક્ષકો માટે પણ એ ભૂલ સુધારવાનું અશક્ય બની જાય છે. ”

             મનુભાઇ પંચોળી “દર્શક” બાળધડતરને “વિશ્વશાંતિની ગુરુ કિલ્લી ” કહે છે: “માસ્તર બાળકની હથેળીમાં આંકણી મારે છે ત્યારે વિદ્વોહનાં બીજ ચિત્તમાં વવાઇ જાય છે. આક્રમકતાના બીજ બાળચિત્તમાં વાવીએ અને પછી શાંતિ માટે રાતદી, દોડા કરીએ તો કેમ ચાલે ? “હિટલરને હરાવનાર સેનાપતિએ શિક્ષકો માટે લખેલું છે કે, તમારુ કામ મને કામ વગરનો કરી મૂકવાનુ છે. શાંતિ સ્થાપવાનું કામ માત્ર આઇઝનહોવર, કુશ્વવેવ કે વિનોબાજી જ નથી કરતા, પણ રાનીપરજનાં ઝૂંપડાઓ વચ્ચે બાલવાડી ચલવનાર ગ્રામસેવિકા પણ કરી રહેલ છે, કારણ કે તે પોતાની સંભાળમાં મુકાયેલ ભૂલકાઓમાં આક્રમક વૃત્તિનાં બીજ ન રહે તેવી હિકમતથી કરી રહેલ છે. ”

            “આક્રમક વૃત્તિનાં મૂળ બાલ્યાવસ્થામાં થયેલ નૈરાશ્યના અનુભવમાં છે. બાળકને જેટલીવાર નિરાશાનો અનુભવ આપણે કરાવીએ છીએ તેટલી તેની આત્મશ્રધ્ધાની ઇંટોને એક પછી એક ખસેડીએ છીએ. ને જેની આત્મશ્રધ્ધા ગઇ તે તક આવ્યે આક્રમક થાય છે, ને તક ન મળે ત્યાં સુધી અરજદાર રહે છે. બધા સમાન છે એમ આપણે કહીએ, પણ બાળકે નાનપણમાં અપમાન, હિણપતભર્યા અનુભવ કર્યા હોય છે. એટલે મોટી ઉંમરે તે કોઇને પીડિત કર્યા સિવાય રહી શકતો નથી.’’

             “સંહારવૃત્તિનો અવેજ સર્જનવૃત્તિ છે. આક્રમણનો ઉપાય અંત:તૃપ્તિ છે. જે સમાજે પોતાનાં બાળકો માટે તેમની વય, તેમની વૃત્તિ, લક્ષમાં રાખીને સર્જનકાર્ય માટેની વ્યવસ્થા પોતાની શિક્ષણ વ્યવસ્થામાં યોજે છે તેને કોર્ટો, જેલો, લશ્કરોનું ખર્ચ ઓછું કરવું પડે છે. ” પ્લેટોએ કહ્યું કે “ જે સમાજ યોગ્ય શિક્ષણ પાછળ વધારે ખર્ચ કરે છે તેને લશ્કર પાછળ ઓછું ખર્ચ કરવું પડે છે. ” ગરીબી શોષણની જન્મદાત્રી છે, શોષણ શાંતિનો સૌથી મોટો શત્રુ છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ ગરીબી કેમ ? અજ્ઞાનના અંધકારમાં જ્ઞાનનો દીપક પ્રકટાવ્યા વિના ગરીબી હટવાની નથી. ઝુપડપટ્ટીઓમાં બાળપણ સડતું રહે તો વિકસિત ભારતનું સપનુ એમ સાકાર થાય ? અજ્ઞાન મા-બાપોની અવગણના અને શિક્ષિત મા-બાપોની અગણિત અપેક્ષાઓને કારણે બાળકમાં પડેલી અનંત સંભાવનાઓ મુરઝાઇ જાય પછી બધા જ પ્રયત્નો વ્યર્થ. ચાણકયે કહ્યુ છે : “ શિક્ષક કયારેય સાધારણ નથી હોતો પ્રલય અને ક્રાંતિનો જનક હોય છે” દરેક શિક્ષકને તેનો અહેસાસ થાય તો ?


                મુરઝાએલું બાળપણ વિશ્વશાંતિ માટે ઘાતક પુરવાર થઇ રહ્યુ છે ત્યારે ચૂપ બેસવાથી ચાલશે નહિ. ઉઠી, જાગી અને વિશ્વશાંતિની દિશામાં પ્રદાન કરવા સંકલ્પ કરીએ.મને ખ્યાલ છે, કે ઘણા બધા લોકો વ્યકિતગત કે સંસ્થાકીય સ્તરે આ મુદ્દે મથી રહ્યા છે. અનેક એવા છે જે કશુંક કરવા માગે છે પણ કઇ રીતે આગળ વધવું તે એમને ખબર નથી. આપણે સંગઠિત થઇએ તો નજરે જોઇ શકાય, અનુભવી શકાય તેવો ફરક પાડી શકીએ તેમ છીએ. આપણા રોજબરોજના જીવનમાં, આપણી આસપાસની દુનિયામાં નોંધપાત્ર પરિવર્તન આપણા જ પ્રયાસોથી શક્ય છે. આ વિશ્વ વધું સારું બની શકે તેમ છે. આવો, આપણે શું કરી શકીએ તે વિચારીએ અને એને અમલમાં મૂકીએ.

સંદર્ભ : વિકાસ્પેડીયા 

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

Archive

संपर्क फॉर्म

पाठवा